ખેડબ્રહ્મા વોર્ડ 5 માં એક માસથી ગટરો ઉભરાય છે સ્થાનિકોની રજૂઆત છતાં નિકાલ નહીં, રોગચાળાનો ભય ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર 5, જેને ભાટવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.
સ્થાનિક રહેવાસી શંકરભાઈ ભાટના જણાવ્યા અનુસાર, તેઓ દ્વારા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. સદસ્યો દ્વારા નગરપાલિકાને જાણ કરાઈ હોવા છતાં, એક મહિનાથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.
શંકરભાઈ ભાટે વધુમાં જણાવ્યું હતું કે તેમના ઘરમાં નાના બાળકો છે અને ગટરના ગંદા પાણીને કારણે તેઓ બીમાર પડે તેવી શક્યતા છે. સમગ્ર વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ડર સ્થાનિકોમાં વ્યાપી ગયો છે. તેમણે સત્વરે ગટર સફાઈ કરી નિકાલ કરવાની માંગ કરી છે.
આ મામલે ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેન્દ્ર પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
Author: Najar News
Post Views: 70








Total Users : 782214
Total views : 33761463